સેન્સેક્સે ૧૧૩૮ પોઇન્ટ ઊછળીને અંતે ૬૦૦ પોઇન્ટના સુધારો નોંધાવ્યો, નિફ્ટી ૨૪,૩૦૦ની ઉપર પહોંચ્યો

2 hours ago 1

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારે એફઆઇઆઇની વેચવાલી, નબળા કોર્પોરેટ પરિણામ, જીઓ-પોલિટિકલ ટેન્શન સહિતના તમામ નકારાત્મક પરિબળો ફગાવીને સત્ર દરમિયાન ૧૧૩૭.૫૦ પોઇન્ટનો ઉછાળો માર્યો હતો અને અંતે ૬૦૦ના સુધારા સાથે સ્થિર થયું હતું. ક્રૂડ ઓઇલના ભાવના તીવ્ર ઘટાડાની બજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર થઇ હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૫.૮૪ ટકાના કડાકા સાથે બેરલદીઠ ૭૧.૫૪ ડોલર બોલાયું હતું.

બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંક સેન્સેક્સ અને નિફ્ટીએ એશિયન સમકક્ષોને પ્રતિબિંબિત કરતા, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સત્રના અંત પહેલા સોમવારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન એક ટકાથી વધુ ઉછાળો નોંધાવ્યો હતો. સેન્સેક્સ સત્ર દરમિયાન ૧.૪૩ ટકાની જમ્પ સાથે ૮૦,૫૩૯.૮૧ સુધી ઉછળીને અંતે ૬૦૨.૭૫ પોઈન્ટ અથવા ૦.૭૬ ટકાના વધારા સાથે ૮૦,૦૦૫.૦૪ના સ્તરે અને નિફ્ટી ૧૫૮.૩૫ પોઈન્ટ અથવા ૦.૬૫ ટકા વધીને ૨૪,૩૩૯.૧૫ની સપાટી પર બંધ થયો હતો.

સેન્સેક્સેના શેરોમાં આઇસીઆઇસીઆઇ બેન્ક ત્રણ ટકા ઉછીને ટોપ ગેઇનર બન્યો હતો, અન્ય વધાનરા શેરોમાં જેએસડબલ્યુ સ્ટીલ, મહિન્દ્રા, એદાણી પોર્ટ, ટાટા સ્ટીલ, સન ફાર્માએચયુએલ, ટાટા મોટર્સ અને એસબીઆઇનો સમાવેશ હતો. ટોપ લુઝર શેરોમાં એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક અને મારુતિનો સમાવેશ હતો. આઇસીઆઇસીઆઇ બેન્કે બીજા ક્વાર્ટરમાં ૧૪.૫૦ ટકાના વધારા સાથે રૂ. ૧૧,૭૪૬ કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો અને રૂ. ૪૭,૭૧૪ કરોડની કુલ આવક નોંધાવી છે. હેસ્ટર બાયોસાયન્સે બીજા ત્રિમાસિક ગાળામાં ૧૦૮ ટકાના વધારા સાથે રૂ. ૮.૩૯ કરોડનો કોન્સોલિડેટેડ નફો અને ૧૯ ટકાના વધારા સાથે રૂ. ૮૩.૬૯ કરોડની આવક નોંધાવી છે. અરવિંદ લિમિટેડનો ચોખ્ખો નફો ૨૫ ટકાના ઘટાડા સાથે રૂ. ૬૨.૭૭ કરોડ નોંધાયો હતો. ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૯૮૬.૭૦ કરોડની ચોખ્ખી ખોટ
નોંધાવી છે.

વેરાંડા લર્નિંગ સોલ્યુશન્સ લિમિટેડે અર્ધવાર્ષિકમાં ૭૨.૬૯ ટકાના વધારા સાથે રૂ. ૧૧૮.૯૯ કરોડની આવક નોંધાવી છે. કંપનીએ એજીએમમાં રૂ. ૧૦૦૦ કરોડ સુધીના એનસીડી, બોન્ડસ અને અન્ય નાણાકીય સાધનો માટે મંજૂરી આપી છે. જાહેર ક્ષેત્રની ભેલ કંપનીએ ૩૦મી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં રૂ. ૧૦૬.૧૫ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. ૬૩.૦૧ કરોડની ખોટ નોંધાવી હતી. વારી એનર્જી ૭૦ ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. જ્યારે દીપક બિલ્ડર્સ ૨.૨૧ ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો. શ્રીરામ ફાઇનાન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, આઇસીઆઇસીઆઇ બેંક, વિપ્રો અને જેએસડબલ્યુ સ્ટીલની આગેવાની હેઠળ નિફ્ટીના ૫ચાસમાંથી ૩૬ શેરામાં ૫.૩૫ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. બીજી તરફ કોલ ઈન્ડિયા, બજાજ ઓટો, એક્સિસ બેંક, હીરો મોટરકોર્પ અને બીઈએલ એવા ૧૪ શેરોમાં ૩.૭૬ ટકા સુધીના નુકસાન સાથે રેડ ઝોનમાં ધકેલાયા હતા.

મિડકેપ અને સ્મોલકેપ શેરોએ ફરી એકવાર વ્યાપક બજારોને માત આપી હતી. નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સમાં ૧.૨૦ ટકાનો અને નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સમાં ૦.૮૩ ટકા નો ઉછાલો જોવા મળ્યો હતો. તમામ ક્ષેત્રીય બેન્ચમાર્ક ગ્રીન ઝોનમાં હતા, જેમાં નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ ૩.૭૮ ટકા વધીને બંધ રહ્યો હતો, ત્યારબાદ બેન્ક નિફ્ટી ૦.૯૩ ટકા અને નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ૦.૨૭ ટકા વધીને બંધ રહ્યો હતો. દરમિયાન, નિફ્ટી મીડિયા, ફાર્મા, રિયલ્ટી અને હેલ્થકેર પ્રત્યેક શેરઆંકમાં એક ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો.

નોંધવું રહ્યું કે એફઆઇઆઇની વેચવાલી ચાલુ રહી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ શુક્રવારે રૂ. ૩,૦૩૬.૭૫ કરોડની કિંમતની ભારતીય ઇક્વિટીનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જ્યારે ડીઆઇઆઇએ એનએસઇ ડેટા અનુસાર ટ્રેડિંગ સત્ર દરમિયાન રૂ. ૪,૧૫૯.૨૯ કરોડની કિંમતની ઇક્વિટીની લેવાલી નોંધાવી હતી.

સ્થાનિક શેરબજાર માટે ઓક્ટોબર મહિનો વાસ્તવમાં અશુભ રહ્યો છે. એક મહિના જેટલા સમયમાં મોટાપાયે વોલેટિલિટી વચ્ચે મંદીનું જોર વધ્યું છે. સમીક્ષા હેઠળના પાછલા એક જ સપ્તાહમાં રોકાણકારોના ૨૧.૪૭ લાખ કરોડ સ્વાહા થઇ ગયા છે.

ઓક્ટોબરમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારોએ રૂ. એક લાખ કરોડથી વધુની વેચવાલી નોંધાવી છે. નવા પરિબળમાં કોર્પોરેટ ક્ષેત્રમા નબળા ત્રિમાસિક પરિણામા આવે છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં આઈટી, રિયાલ્ટી અને ઓટો કંપનીઓના પરિણામો એકંદરે અપેક્ષા કરતાં નબળા રહ્યા છે. આ સિવાય અન્ય ઘણી કંપનીઓએ નિરૂત્સાહી પરિણામો જાહેર કરતાં તેની અસર શેરબજાર પર જોવા મળી છે.

જુલિયન એગ્રોમાં સ્ટોક સ્પ્લીટ માટે બોર્ડની મંજૂરી
મુંબઇ: જુલિયન એગ્રો ઇન્ફ્રાટેક લિમિટેડના બોર્ડે રૂ.૧૦ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેરના ૧:૨ના રેશિયોમાં શેર વિભાજનના પ્રસ્તાવને મંજૂરી આપી છે. નવા ફેરફાર પછી ફેસ વેલ્યૂ રૂ. ૫ાંચની ગણાશે. કંપનીએ તેના વચગાળાના ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ તરીકે પહેલી નવેમ્બર ૨૦૨૪ નક્કી કરી છે. નાણાકિય વર્ષ ૨૦૨૫ના બીજા ત્રિમાસિક માટે કંપનીએ તેની કુલ આવક રૂ. ૩૦૭૦.૮૬ લાખની અને કરવેરા પછીનો નફો રૂ. ૨૦૪.૦૮ લાખ નોંધાવ્યો છે. શેર દીઠ કમાણી રૂ. ૧.૦૩ રહી છે. ૩૧ માર્ચ ૨૦૨૪ના રોજ પૂરા થયેલા વર્ષ માટે કંપનીની આવક રૂ. ૨૧૩૪.૭૦ લાખ રહી હતી. કંપની મોટા પાયે રિયલ એસ્ટેટ વિકાસમાં વિસ્તરણ કરવાની આશા રાખે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં કૃષિ ક્ષેત્રમાં વૈવિધ્યીકરણ કરવાનો વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપની લેન્ડફિલિંગ, લેવલિંગ, શેડ ફાઉન્ડેશન, કૃષિ વેપાર અને રોડ બાંધકામ સહિતના ક્ષેત્રોમાં હિત
ધરાવે છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article