ન્યુયોર્ક : ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ (Benjamin Netanyahu) શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. તેમણે લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ આક્રમણ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. જ્યારે નેતન્યાહુએ યુએનમાં સંબોધન શરૂ કર્યું ત્યારે ઘણા દેશોના પ્રતિનિધિઓ ઉભા થઈને ચાલ્યા ગયા. જોકે તેમના સમર્થકોએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
હિઝબુલ્લાહને નિશાન બનાવીશું
નેતન્યાહુએ યુએન જનરલ એસેમ્બલીમાં કહ્યું કે જ્યાં સુધી હિઝબુલ્લાહ યુદ્ધ પસંદ કરશે ત્યાં સુધી ઈઝરાયેલ પાસે કોઈ વિકલ્પ નથી અને ઈઝરાયેલ આ ખતરાને દૂર કરવાનો અને પોતાના લોકોને સુરક્ષિત રીતે તેમના ઘરે પરત મોકલવાનો પૂરો અધિકાર છે. અમારો ઉદ્દેશ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી અમે હિઝબુલ્લાહને નિશાન બનાવીશું.
ઈરાનમાં દરેક જગ્યાએ ઈઝરાયેલના હથિયારો પહોંચી શકે છે : નેતન્યાહુ
ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ પણ ઈરાનને ચેતવણી આપી છે. મારી પાસે તેહરાનના સરમુખત્યારો માટે એક સંદેશ છે. જો તમે અમારી પર હુમલો કરશો તો અમે પણ હુમલો કરીશું. આટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે ઈરાનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં ઈઝરાયેલના હથિયારો ન પહોંચી શકે અને આ સમગ્ર મધ્ય પૂર્વ માટે લાગુ પડે છે. નેતન્યાહુએ વધુમાં કહ્યું કે હમાસે સમાપ્ત થવું જ પડશે. ગાઝાના પુનર્નિર્માણમાં તેની કોઈ ભૂમિકા નહિ રહે.
હમાસના હુમલાને કારણે આ ડીલ મોકૂફ
ઈઝરાયેલના વડાપ્રધાને કહ્યું કે ઈઝરાયેલ શાંતિ ઈચ્છે છે. તેમણે વધુમાં કહ્યું કે ગયા વર્ષે પણ મેં આ સભાને સંબોધિત કરી હતી. તે સમયે અમે સાઉદી અરેબિયા સાથે ઐતિહાસિક સોદો કરવાના હતા. હમાસના હુમલાને કારણે આ ડીલ મોકૂફ રાખવામાં આવી હતી.