રવિવારે સવારે મુંબઈના બાંદ્રા ટર્મિનસમાં ભારે ભીડને કારણે નાસભાગના સમાચાર જાણવા મળ્યા હતા.લોકોના ભારે ધસારાને કારણે નાસભાગ મચી ગઈ હતી,જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ અંગે શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘કાશ! આપણી પાસે રીલ પ્રધાનના બદલે રેલવે પ્રધાન હોત.’
l Also Read: Breaking News : Mumbai ના બાંદ્રા રેલવે સ્ટેશન પર નાસભાગ મચી, નવ મુસાફરો ઘાયલ
બાન્દ્રા ખાતે નાસભાગની ઘટના દર્શાવે છે કે આપણા રેલવે પ્રધાન કેટલા બધા અસમર્થ છે. ભાજપે તેમને વિધાનસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રના પ્રભારી બનાવ્યા છે. તેઓ રલવે પર કંઇ ધ્યાન જ નથી આપતા એવું લાગે છે. દર અઠવાડિયે રેલવેમાં અકસ્માતો થયા જ કરે છે એ કેટલી શરમજનક વાત છે અને આપણે પણ આવા અસમર્થ નેતાઓ હેઠળ જીવવા માટે મજબૂર છીએ.
આજની બાંદ્રા ટર્મિનસ પરની નાસભાગની ઘટના વિશે રેલવે તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 27 ઑક્ટોબરના રોજ પેસેન્જર ટ્રેન નંબર 22921 અંત્યોદય એક્સપ્રેસ બીડીટીએસ (બાન્દ્રા ટર્મિનસ) યાર્ડથી પ્લેટફોર્મ નંબર 1 પર ધીમે-ધીમે આવી રહી હતી, ત્યારે પ્લેટફોર્મ પર હાજર યુપી, બિહાર જવા માગતા મુસાફરોએ ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે અફડાતફડી અને નાસભાગ મચી ગઇ હતી, જેમાં બે મુસાફરો પડી ગયા અને ઘાયલ થયા હતા. તે સમયે ફરજ પર હાજર રેલવે પોલીસ, જીઆરપી અને હોમગાર્ડ્સે તાત્કાલિક કાર્યવાહી કરી ઘાયલોને નજીકની ભાભા હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા. તમામ ઘાયલ મુસાફરોની હાલત સામાન્ય છે. રેલ્વેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ ચાલતી ટ્રેનમાં ન ચઢે અથવા ઉતરે નહીં. એ જોખમકારક છે.
l Also Read: શરદ પવારની પાર્ટીએ બીજા લિસ્ટમાં 22 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી આપી ટિકિટ…
નોંધનીય છે કે દિવાળી અને છઠ્ઠના તહેવારને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને તેમને યુપી અને બિહાર પહોંચવા માટે 130 થી વધુ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે, જેમાંથી 87 ટ્રેન તો મુંબઇમાંથી જ દોડાવવામાં આવી રહી છે.