બીજી ટેસ્ટ પુણેમાં: કોણ આઉટ અને કોણ ઇન થઈ શકે?

8 hours ago 1

પુણે: 24મી ઑક્ટોબરથી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિયેશનના ગ્રાઉન્ડ પર ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે બીજી ટેસ્ટ રમાશે અને સિરીઝ 1-1થી બરાબરીમાં કરવા તેમ જ ટેસ્ટના વર્લ્ડ કપ માટેની આવતા વર્ષની ફાઇનલમાં સ્થાન મેળવવા ટીમ ઇન્ડિયાએ આ મૅચ જીતવી ખૂબ જરૂરી છે. એ જોતાં, ભારતીય ટીમ મૅનેજમેન્ટે પ્લેઇંગ-ઇલેવનમાં ખૂબ સમજી વિચારીને ફેરફારો કરવા પડશે. એક કે બે ફેરફાર થવાની પાકી સંભાવના છે.

બેન્ગલૂરુની પહેલી ટેસ્ટમાં ન્યૂ ઝીલૅન્ડે 107 રનનો લક્ષ્યાંક 27.4 ઓવરમાં 110/2ના સ્કોર સાથે મેળવીને સિરીઝમાં 1-0થી સરસાઈ લીધી હતી. સ્પિન-ઑલરાઉન્ડર રાચિન રવીન્દ્રને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. બીજા દાવમાં ભારતે જોરદાર વળતી લડત આપી હતી, પરંતુ એ પૂરતી નહોતી, કારણકે કિવીઓને માત્ર 107 રનનો લક્ષ્યાંક આપી શકાયો હતો જે તેમણે રવિવારે શરૂઆતમાં વરસાદના ભય બાદ શરૂ થયેલી રમતમાં 30 ઓવરની અંદર મેળવી લીધો હતો.

છઠ્ઠા નંબર પર બૅટિંગ કરનાર કે. એલ. રાહુલ બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં ઝીરોમાં અને બીજા દાવમાં 12 રનમાં આઉટ થઈ ગયો હતો. તે બન્ને ઇનિંગ્સમાં પેસ બોલર વિલિયમ ઑ’રુર્કેના બૉલમાં વિકેટકીપર ટૉમ બ્લન્ડેલને કૅચ આપી બેઠો હતો. ઑ’રુર્કેની ભારતમાં આ પહેલી જ ટેસ્ટ હતી અને એમાં તેણે કુલ સાત વિકેટ લીધી હતી.

આપણ વાંચો: બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં King Kohli બનાવી શકે છે આ 8 મોટા રેકોર્ડ્સ

શુભમન ગિલ ગરદનના દુખાવાને કારણે પ્રથમ ટેસ્ટમાં નહોતો રમી શક્યો અને તેના સ્થાને સરફરાઝ ખાનને ઇલેવનમાં સમાવાયો હતો. સરફરાઝે પહેલા દાવના ઝીરો બાદ બીજા દાવના ફાઇટબૅકમાં શાનદાર 150 રન બનાવ્યા એટલે તેને હવે ઇલેવનની બહાર કરાશે એવી કોઈ જ શક્યતા નથી. ગિલને સમાવવા માટે મોટા ભાગે રાહુલને પડતો મૂકવામાં આવશે.

રિષભ પંત પ્રથમ દાવમાં ઝીરોમાં આઉટ થયો હતો, પણ બીજી ઇનિંગ્સમાં તેણે 99 રન બનાવ્યા હતા. બીજા દાવમાં તેણે ઘૂંટણની ઈજાને લીધે ફીલ્ડિંગ નહોતી કરી અને તેના સ્થાને ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. હવે બીજી ટેસ્ટમાં પણ પંતને જ રમાડવામાં આવશે, પરંતુ તેની ફિટનેસ ટીમ માટે મોટી ચિંતાનો વિષય રહેશે.

એવું પણ બની શકે કે પંત બીજી ટેસ્ટમાં નહીં રમી શકે તો જુરેલને ઇલેવનમાં સમાવાશે અને જો જુરેલને નહીં લેવામાં આવે તો પંતના સ્થાને ગિલને ઇલેવનમાં લેવાશે અને વિકેટકીપિંગની જવાબદારી રાહુલને સોંપાશે.

આપણ વાંચો: બેન્ગલૂરુ ટેસ્ટ ચરમસીમાએ: ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓ કહેશે….આવ રે વરસાદ…

પેસ બોલર મોહમ્મદ સિરાજ બહુ સારા ફૉર્મમાં નથી એટલે જસપ્રીત બુમરાહ પર ઘણું પ્રેશર આવી જતું હોય છે. મોહમ્મદ શમી હજી પૂરો ફિટ નથી એટલે સિરાજને ડ્રૉપ કરવાનો નિર્ણય લેવાશે તો આકાશ દીપને તેના સ્થાને રમવાનો મોકો મળી શકે.

બીજી ટેસ્ટ માટેની પુણેની પિચ પેેસ બોલિંગને વધુ મદદકર્તા બનશે એવી સંભાવના છે. એ જોતાં ભારત ત્રણ પેસ બોલરને રમાડવાનું નક્કી કરશે તો બુમરાહ અને સિરાજની સાથે આકાશ દીપને પણ રમાડવામાં આવશે. જોકે એ માટે ત્રીજા સ્પિનર કુલદીપ યાદવને પડતો મૂકવો પડે.

બીજી ટેસ્ટ માટેની ભારતની સંભવિત ઇલેવન:

રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્ર્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ અને જસપ્રીત બુમરાહ.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article