Sow 'Khodwa' BJP's workout  begins; Appointed 3 inspectors successful  charge

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠક ( વિસાવદર નો મુદ્દો જુદો છે ) વાવને ‘ભરી પીવા’ ભારતીય જનતા પાર્ટીએ શરદ પૂનમના ચાંદલિયાની સાક્ષી એ 1 પ્રભારી અને ત્રણ નિરીક્ષકોની નિમણૂંક કરી દીધી છે. આ નિરીક્ષકો આવતી કાલે વાવ વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લેશે. ગુજરાતમાથી લોકસભાના એક માત્ર કોંગ્રેસી સાંસદ ગેની બહેન ઠાકોર વાવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસનાં ધારાસભ્ય હતા.તેઓ લોકસભામાં બનાસકાંઠા બેઠક પરથી વિજેતા થતાં આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર 13 નવેમ્બરે ચૂંટણી થશે.

આ પણ વાંચો : વાવ વિધાનસભા પેટા ચૂંટણી ઠાકોર V/s ચૌધરી – કેવી રીતે સાબિત થશે બનાસના કંકર-કંકરમાં શંકર?

ઠાકોર-ચૌધરી અને રબારી સમાજનું પ્રભુત્વ ધરાવતી વાવ બેઠક પર જીત મેળવી કોંગ્રેસનાં ગઢમાં ગાબડું પાડી, 2027ની વિધાનસભાની ચૂંટણીમા એક નવી ‘વોટ બેન્ક’ ભાજપ તરફી ઊભી કરવા પાર્ટીએ કમર કસી હોય તેમ, 1 પ્રભારી અર્જુનસિંહ ચૌહાણ જેઓ મહેમદાવાદના ધારાસભ્ય હોવા ઉપરાંત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે તેમની નિમણૂક કરી દીધી છે. સાથોસાથ ત્રણ નિરીક્ષક જેમાં પાર્ટીના મુખ્ય પ્રવકતા યમલ વ્યાસ, ધારાસભ્ય દર્શના બહેન વાઘેલા અને જનક બગદાણાનો સમાવેશ થાય છે. વાવ વિધાનસભા કોંગ્રેસનો ગઢ રહ્યો હોય, ભાજપ માટે ‘રાત થોડી અને વેશ ઝાઝા’ જેવો ઘાટ હોવાથી તત્કાળ અસરથી પાર્ટીના કાર્યકરો વાવ ખોદી નાખવા કામે લાગી ગયા છે.

શંકર ચૌધરીની પ્રતિષ્ઠા વધુ એક વખત દાવ પર

ગુજરાતમાં બનાસકાંઠાના વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર 13 નવેમ્બરે વોટિંગ થશે. ગત લોકસભા ચૂંટણીમા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેની બહેન ઠાકોરે ભાજપની 26 એ 26 બેઠક સતત ત્રીજીવાર જીતવાના ‘અશ્વમેધ’ને નાથી લીધો હતો. ગેની બહેને ભાજપના પ્રતિદ્વંદી રેખા બહેન ચૌધરીને અંદાજે 30 હજારથી વધુ મતથી હરાવી ભાજપની સોનાની થાળીમાં પોતાની જીત રૂપી લોઢાની મેખ મારી હતી. હવે ફરી એક વાર આ બેઠક પર ઠાકોર વિરુદ્ધ ચૌધરી ઉમેદવારથી બનાસકાંઠાનો માહોલ ગરમાઈ જશે તે વાત ચોક્કસ છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આ પંથકમાં મોટું નામ છે તેઓ પણ વિધાનસભા ચૂંટણીમા એક પરાજયનો સ્વાદ ચાખી ચૂક્યા છે. અને લોકસભાની ચૂંટણીમા પોતાની પ્રતિસ્ઠા ભાજપની હારથી ગુમાવી ચૂક્યા છે. હવે તક છે કે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જીતી, સાબિત કરવાનું છે કે હજુ યે બનાસના કંકર-કંકરમાં શંકર છે.

આ પણ વાંચો : ગુજરાતની વાવથી કેરળની વાયનાડ સુધી, જાણો કયા રાજ્યોમાં કેટલી બેઠક પર યોજાશે પેટાચૂંટણી

મહારાષ્ટ્ર-ઝારખંડ સાથે જ વાવની ચૂંટણી

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે જ ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પત્રકાર પરિષદ સંબોધીને ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે, જ્યારે ઝારખંડમાં પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થવાનું છે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી થશે.