ગ્વાલિયરઃ મધ્યપ્રદેશના (Madhya Pradesh) ગ્વાલિયરમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહીં ટ્રેનના પાટા પર લોખંડનો સળિયો મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે રેલવે અને ગ્વાલિયર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે.
અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધ્યો
ઘટનાની માહિતી બિરલા નગર રેલવે સ્ટેશન અને ગ્વાલિયર રેલવે સ્ટેશનને આપવામાં આવી હતી. ગ્વાલિયર પોલીસ અને રેલ્વે સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રેલવે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. રેલવે એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને અજાણ્યા આરોપીઓની શોધ ચાલી રહી છે.
દેશમાં છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં અલગ-અલગ જગ્યાએ ટ્રેન પલટી જવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે, રેલવેની સતર્કતાને કારણે અત્યાર સુધી કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. મંગળવારે સવારે ગ્વાલિયર રેલવે સ્ટેશન પર માહિતી મળી હતી કે બિરલા નગર સ્ટેશન પાસે ટ્રેનના પાટા પર લોખંડનો સળિયો રાખવામાં આવ્યો છે. જ્યારે એક માલગાડી 12 કિલોમીટરની ઝડપે તે ટ્રેક પર આવી રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરની નજર તે સળિયા પર પડી. તેણે છેલ્લી ક્ષણે બ્રેક લગાવીને ટ્રેનને રોકી હતી. જેથી મોટી દુર્ઘટના ટળી હતી.
અન્ય ઘણી ઘટનાઓ બની
આ પહેલા પણ મધ્યપ્રદેશના બુરહાનપુરના નેપાનગરમાં રેલવે ટ્રેક પર એક ડેટોનેટર મળી આવ્યું હતું. ટ્રેનમાં જઇ રહેલા સેનાના જવાનોને ઉડાવી દેવાનું કાવતરું હતું. જ્યારે યુપીના કાનપુરમાં રેલવે ટ્રેક પર એક સિલિન્ડર મળી આવ્યો હતો. યુપીના લલિતપુરમાં રેલ્વે ટ્રેક પર સળિયો મળી આવ્યો હતો. આ પછી રેલવે વિભાગ વધુ સતર્ક બન્યો છે.