નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે એલએસી( LAC)પર પેટ્રોલિંગને લઈને સમજૂતી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં આ બાબત જણાવી હતી. ચીનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય મંત્રણાના સવાલ પર વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા અઠવાડિયાથી રાજદ્વારી અને સૈન્ય વાતચીત થઈ રહી છે.
દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચાઓ યથાવત
તેમણે કહ્યું, એલએસી મુદ્દાઓ પર ચીન સાથે અમારી સમજૂતી છે. સૈનિકોને પાછા ખેંચવા અને પરિસ્થિતિના નિરાકરણ માટે પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વિપક્ષીય મુદ્દા પર અમે હજુ પણ સમય અને પ્રતિબદ્ધતા મુજબ કામ કરી રહ્યા છીએ.
વર્ષ 2020 માં ઉદ્ભવેલા મુદ્દાઓનું નિરાકરણ
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત અને ચીન સરહદી વિસ્તારોમાં એલએસી સાથે પેટ્રોલિંગ વ્યવસ્થા પર સમજૂતી પર પહોંચ્યા છે. જે વર્ષ 2020 માં ઉદ્ભવેલા મુદ્દાઓનું નિરાકરણ તરફ દોરી જાય છે અને અમે આના પર આગળના પગલાં લઈશું. વિદેશ સચિવે બ્રિક્સ સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાના કઝાન ખાતેની આગામી મુલાકાત અંગે વિશેષ બ્રિફિંગને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.
ભારત અને ચીને ઓગસ્ટ માસની શરૂઆતમાં LAC સાથેની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી અને સંયુક્ત રીતે LAC પર શાંતિ અને સુલેહ-શાંતિ જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. જેમાં બંને પક્ષોએ તેમના મતભેદોને ઓછા કર્યા અને બાકી રહેલા મુદ્દાઓનું વહેલું નિરાકરણ શોધવાનો પ્રયાસ કર્યો. આ માટે તેઓ રાજદ્વારી અને સૈન્ય વાતચીત માટે સંમત થયા હતા.