અમદાવાદ: મસમોટા દાવાઓ સાથે શરૂ કરવામાં આવેલ ભાજપના સદસ્યતા અભિયાનને નબળો પ્રતિસાદ મળ્યો છે અને મોટા દાવાઓ પોકળ સાબિત થયા છે. ભાજપ સદસ્યતા અભિયાનને નબળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. વળી તાજેતરમાં જ ખુદ વડાપ્રધાને જ સદસ્યતા અભિયાનના આંકડાના રિપોર્ટ મંગાવ્યા હોવાની બે મંત્રીઓની ગુપ્ત વાતચીતનો વિડીયો વાયરલ થયો હતો. આ બધાની વચ્ચે ઊંઝાના કોંગ્રેસના પૂર્વ મહામંત્રી નટુજી ઠાકોરને ખોટી રીતે ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા હોવાનો ખુલાસો કરતાં ભાજપના સદસ્યતા અભિયાનની એક પોલ છતી થઈ છે.

| Also Read: Lothal માં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી, વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ બનાવાશે…

ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં કાર્યકરોને સભ્ય બનાવવા માટે ઘણી મુશ્કેલી પડી રહી છે તેવા સમયે ઊંઝામાં કોંગ્રેસના પૂર્વ મહામંત્રી નટુજી ઠાકોરને ખોટી રીતે ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યું હોવાનું ખૂલ્યું છે. આખી ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેમના મોબાઈલ ફોનમાં આવેલા મેસેજને જોયા બાદ તેમણે જ આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે આ મુદ્દે ઊંઝાના પ્રદેશ ભાજપ પ્રમુખને લેખિત રજૂઆત પણ કરી છે.

નટુજી ઠાકોરે ભાજપ પ્રમુખને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ‘હાલમાં ચાલી રહેલા ભાજપના સદસ્યતા અભિયાનને લઈને 1 ઓક્ટોબર 2024, મંગળવારે રાત્રે 10:05 કલાકે મને મારા મોબાઈલ નંબર પર ભાજપના કાર્યકર પટેલ દશરથભાઈનો ફોન આવેલો અને તેમણે મને કહ્યું હતું કે મારે કોંગ્રેસનું સભ્ય બનવું છે અને આ માટે તેમણે મદદ કરવાની માંગ કરી હતી. તેમણે મોબાઈલમાં એક ઓટીપી આવશે તે મને આપી દેજો એવું કહ્યું હતું અને મે આપેલો, બાદમાં મને જાણ થયેલી કે મને ભાજપનો સદસ્ય બનાવી દેવામાં આવ્યો છે. આ બાબતે મે દશરથભાઈને ફોન કરી ફરિયાદ કરી હતી.’

| Also Read: Gujarat માં સરકારી મેડિકલ કોલેજના તબીબોના વેતનમાં 55 ટકા સુધીના વધારાની જાહેરાત…

ગુજરાતમાં ભાજપને સદસ્યતા અભિયાનમાં નબળો પ્રતિસાદ મળી રહ્યો છે અને પાર્ટી દ્વારા કરવામાં આવેલા મોટા દાવાઓ ખોટા સાબિત થાય અને પાર્ટીની આબરૂના લીરા ઊડે તે પહેલા જ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સદસ્યતા અભિયાન સાથે સંકળાયેલા કાર્યકરો તથા ધારાસભ્યો, સાંસદો સહિતના જનપ્રતિનિધિઓને 15 ઓક્ટોબર સુધીમાં મહત્તમ લોકો સુધી પહોંચી સભ્ય નોંધણી કરાવવા ટકોર કરી હતી.