નાગપુર: ભારતે ગુરુવારે વિદર્ભ પ્રાંતમાં નાગપુરના સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે રમાયેલી સિરીઝની પહેલી વન-ડે 68 બૉલ બાકી રાખીને ચાર વિકેટે જીતી લીધી એમાં શ્રેયસ ઐયર (59 રન, 36 બૉલ, બે સિક્સર, નવ ફોર)નું મહત્ત્વનું યોગદાન હતું અને તેણે આ મૅચ પોતાને કેવી રીતે રમવા મળી એ પાછળનું રહસ્ય ખોલ્યું છે. વિરાટ કોહલી ઘૂંટણની ઈજાને લીધે આ મૅચમાં ન રમવાનો હોવાથી યશસ્વી જયસ્વાલને વન-ડેમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો એવું મનાતું હતું, પણ હકીકત જુદી જ હતી. એવું જાણવા મળ્યું છે કે મૂળ રીતે આ મૅચમાં ઐયરને બદલે યશસ્વીને રમાડવાનું નક્કી જ હતું. જોકે વિરાટ ઈજા પામતાં યશસ્વી ઉપરાંત ઇલેવનમાં શ્રેયસને જાળવી રાખવામાં આવ્યો હતો.
Also read: રોહિત, રહાણે, શ્રેયસ અને યશસ્વી સહિતના સ્ટાર પ્લેયર્સ પણ મુંબઈને પરાજયથી ન બચાવી શક્યા
શ્રેયસને કહેવામાં આવ્યું કે તું પણ ઇલેવનમાં છે જ. ભારતે 248 રનના લક્ષ્યાંક સામે 38.4 ઓવરમાં છ વિકેટે 251 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. આ વિજયમાં રવીન્દ્ર જાડેજા (26 રનમાં ત્રણ વિકેટ), હર્ષિત રાણા (53 રનમાં ત્રણ વિકેટ), શુભમન ગિલ (87 રન, 96 બૉલ,14 ફોર) અને અક્ષર પટેલ (બાવન રન, 47 બૉલ, એક સિક્સર, છ ફોર)નો પણ મોટો ફાળો હતો.
જોકે ઐયર સૌથી નસીબદાર સાબિત થયો. તેણે મૅચ પછી પત્રકારોને કહ્યું હતું કે ‘વાત ખૂબ રમૂજી છે. હું તો બુધવારે રાત્રે પિક્ચર જોઈ રહ્યો હતો. ઑરિજિનલી, હું ઇલેવનમાં નહોતો એટલે થોડી ફુરસદમાં હતો. જોકે એ રાત્રે મોડેથી મને રોહિતનો કૉલ આવ્યો કે ઈજા બાદ વિરાટના ઘૂંટણમાં ખૂબ સોજો છે એટલે તેના બદલે તારે રમવાનું છે. રોહિતની વાત સાંભળીને હું મારી રૂમમાં ગયો અને સીધો સૂઈ જ ગયો.’
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને